સરકારી યુનિ.ઓમાં પ્રોફેસરની ભરતીમાં અધ્યાપક સહાયક તરીકેનો શૈક્ષણિક અનુભવ માન્ય ગણાશે
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના શિક્ષણ જગતમાં વર્ષોથી ચાલી રહેલી અનુભવની ગણતરી અંગેની દ્વિધાનો અંત આવ્યો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે એક ઐતિહાસિક નિર્ણય લેતાં જાહેર કર્યું છે કે, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં હવે ‘અધ્યાપક સહાયક’ તરીકેના ૫ વર્ષના ફિક્સ પગારના સમયગાળાને શૈક્ષણિક અનુભવ તરીકે માન્ય રાખવામાં આવશે.
શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીને પરિપત્ર પાઠવી સ્પષ્ટ આદેશ કર્યો છે કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેમાં સમાનતા જાળવવા માટે હવે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં આ નિયમ લાગુ કરવો. એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં અધ્યાપક સહાયક તરીકે ફિક્સ પગારના ૫ વર્ષના સમયગાળને શૈક્ષણિક અનુભવ તરીકે ગણી યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવાનો રહેશે.
રાજ્ય સરકારના આ પરિપત્રથી ખાસ કરીને ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપકોમાં ખુશીની લહેર જોવા મળી છે. જે અધ્યાપકોએ પોતાના કરિયરના શરુઆતના પાંચ વર્ષ ફિક્સ પગારમાં વિતાવ્યા છે, તેમને હવે ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન કે સીધી ભરતી માટે પાત્ર ગણવામાં આવશે. આ નિર્ણયથી અનુભવી ઉમેદવારોને ઉચ્ચ શૈક્ષણિક જગ્યાઓ પર અરજી કરવામાં સરળતા રહેશે.
રાજ્ય સરકારે માર્ચ મહિના પહેલા એટલે કે નવા નાણાકીય વર્ષ પૂર્વે ખાલી પડેલી ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ભરવા આદેશ આપ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં હાલ નોન-ટીચિંગ સ્ટાફની ભરતી ચાલુ છે અને આગામી સમયમાં ટીચિંગ સ્ટાફની ૧૦૦થી વધુ જગ્યાઓ ભરાશે. જ્યારે ભાવનગર, જૂનાગઢ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ભરતી પ્રક્રિયા વેગવંતી બની છે.

