ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પંચાયત રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ રાજ્યની ‘તીર્થગામ’ અને ‘પાવનગામ’ યોજનાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં યોજના અંગે મહત્વપૂર્ણ વિગતો રજૂ કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પંચાયત વિભાગ ગ્રામીણ નાગરિકોને વિવિધ યોજનાઓનો સીધો લાભ મળે તે માટે રાજય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે.
ગ્રામીણ વિસ્તારોમાં પરસ્પર સદભાવના વધે, અરસ પરસના વિવાદો ગામમાં જ ઉકેલાય અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા હેતુથી આ યોજના અમલમાં છે.
યોજના વિશે વિગતે માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે જે ગામમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અકસ્માત સિવાયનો કોઈ ગુનો નોંધાયો ન હોય તેને‘તીર્થગામ’જાહેર કરવામાં આવે છે. જે ગામમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અકસ્માત સિવાયનો કોઈ ગુનો નોંધાયો ન હોય તેને‘પાવનગામ’તરીકે પસંદ કરવામાં આવે છે. ગામમાં અસ્પૃશ્યતા નિવારણ,૧૦૦ ટકા શાળા પ્રવેશ,સ્વચ્છતા,અને દારૂબંધી જેવા સામાજિક માપદંડોનું પાલન થવું અનિવાર્ય છે.
વર્ષ ૨૦૧૨ના સુધારા મુજબ, આ યોજનાના લાભ માટે સામાન્ય ગામોએ ૧૦૦ માંથી લઘુત્તમ ૭૦ ગુણ અને આદિવાસી ગામોએ લઘુત્તમ ૬૦ ગુણ મેળવવાના રહે છે. મંત્રીશ્રીએ રાજકોટ જિલ્લાના આંકડા આપતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૬ અને વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૧૧ ગામોની પસંદગી કરવામાં આવી હતી.

