સુરત: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ખુલ્લો મુકાયાના માત્ર ત્રણ મહિનામાં જ દક્ષિણ ગુજરાતના પરિવહન માળખામાં મોટું પરિવર્તન જોવા મળ્યું છે. વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યાથી ઘેરાયેલા રહેતા નેશનલ હાઈવે-48 (NH-48) પર હવે વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે હાઈવે અત્યારે ‘ડી-કન્જેસ્ટેડ’ (ટ્રાફિક મુક્ત) દેખાઈ રહ્યો છે.
એક અવલોકન મુજબ, ખાસ કરીને નવસારી (ખારેલ)-સુરત-વડોદરા અને અમદાવાદ તરફ જતો મોટાભાગનો ટ્રાફિક હવે જૂના નેશનલ હાઈવેને બદલે નવા બનેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર શિફ્ટ થઈ ગયો છે. મુસાફરો અને ટ્રાન્સપોર્ટર્સ સમયની બચત અને અવરોધ વગરની મુસાફરી માટે એક્સપ્રેસવેને વધુ પસંદ કરી રહ્યા છે.
NH-48 પર સૌથી વધુ અસર ટ્રકો અને ભારે વાહનોની અવરજવર પર પડી છે. અગાઉ આ હાઈવે પર સતત ટ્રકોની લાઈનો જોવા મળતી હતી, જે હવે ઘણી ઓછી થઈ ગઈ છે. તેની સીધી અસર હાઈવે કાંઠે આવેલી રેસ્ટોરન્ટ્સ અને હોટલો અને પેટ્રોલ પંપો પર જોવા મળી રહી છે.
એક્સપ્રેસવે શરૂ થયાને હજુ માત્ર ત્રણ મહિનાનો જ સમય થયો છે, છતાં નેશનલ હાઈવે-48 પર ટ્રાફિકનું દબાણ જે રીતે ઘટ્યું છે તે આશ્ચર્યજનક છે. લાંબા અંતરના મુસાફરો હવે સુરત કે વડોદરા શહેરની અંદરથી પસાર થવાને બદલે એક્સપ્રેસવેનો ઉપયોગ કરીને ઝડપથી આગળ વધી રહ્યા છે.
આ ફેરફારથી સામાન્ય વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળી છે, પરંતુ વર્ષોથી NH-48 પર નિર્ભર એવા સ્થાનિક અર્થતંત્ર અને હોટલ વ્યવસાય સામે હવે નવા પડકારો ઊભા થયા છે.

