મોટી રકમની ચોરી થઈ હોવાની શક્યતાઃ સીસીટીવીમાં કેદ થઈ ચોરીની ઘટનાથી વેપારીઓમાં ભારે રોષ
(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ શહેરના માર્કેટ યાર્ડ વિસ્તારમાં ગત રાત્રિએ તસ્કરોએ પોલીસ નો ખોફ રાખ્યા વિના એક સાથે ૧૪ જેટલી દુકાનોને નિશાન બનાવી તાળા /શટર તોડી ચોરી કરી હતી સ્થાનિક પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
મળતી માહિતી મુજબ મહેમદાવાદમાં સ્વામી વિવેકાનંદ સોસાયટીમાં રહેતા લલીતકુમાર ખેમચંદ નાનકવાણીની નગરના માર્કેટ યાર્ડમાં ‘ધનલક્ષ્મી ટ્રેડિંગ’ નામે અનાજ-કરિયાણાની દુકાન આવેલી છે આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં અન્ય પણ દુકાનો આવેલી છે દરમિયાન લલિતકુમાર અને અન્ય દુકાનદારો ગઈકાલે રાત્રિના સમયે નિત્યક્રમ મુજબ દુકાનો બંધ કરી ઘેર ગયા હતા બાદ મધ્યરાત્રી પછી તસ્કર ગેંગે એક બાદ એક માર્કેટ યાર્ડમાં હાર બંધ આવેલ લલિતકુમાર ની દુકાન સહીત ૧૪ દુકાનોને નિશાન બનાવી હતી
તસ્કર ગેંગ આ ૧૪ દુકાનોના તાળા તેમજ શટર તોડી નાખી અંદર પ્રવેશી હતી અને તસ્કર ગેંગે લલિત કુમારની દુકાનમાં ડ્રોવરમાં મુકેલ રોકડા રૂપિયા ૧,૮૭,૦૦૦/- ની ચોરી કરી હતી. ઉપરાંત તસ્કરોએ નીલેશ મધુસુદન શાહની દુકાન નંબર ૮નું શટર ઊંચું કરી તિજોરીમાંથી રોકડની ચોરી કરી હતી. ભરત ગુણવંતભાઈ ઠક્કરની ‘ગાયત્રી કિરાણા સ્ટોર’ (દુકાન નંબર ૩) માંથી ગોદરેજ કંપનીનું સફેદ કલરનું લોકર જ ચોરી કરી ગયા હતા.
પાડોશમાં આવેલી શાહ જેઠાલાલ ગીરધરદાસની દુકાન નંબર ૪ માંથી બે લોખંડની તિજોરીઓ તોડીને રોકડની ચોરી હતી. સાથે તસ્કરોએ રોનક ઈબ્રાહીમભાઈ વ્હોરાની ‘કિસ્મત કિરાણા સ્ટોર’ના ટેબલના ડ્રોવરમાંથી રોકડ, એસ.બી.આઈ. બેંકની બાજુમાં આવેલી ઢાલુમલ ખેમચંદ નાનકવાણીની ‘શિવ શક્તિ ટ્રેડર્સ’, બેંક ઓફ બરોડા પાસે આવેલી અવિનાશ વિનોદરાયની ‘ખોડિયાર ટ્રેડર્સ’ તેમજ ડોક્ટર અશ્વિન પટેલના ‘શ્રદ્ધા ક્લિનિક’માં પણ તોડફોડ કરી રોકડ રકમની ચોરી કરી હતી.
આ ઉપરાંત ‘ચારભુજા રેસ્ટોરન્ટ’ના ડ્રોવરમાંથી પરચુરણ, ‘મંગલદીપ ટ્રેડર્સ’ અને ‘મોડર્ન સોડા’ની દુકાનોના પણ તાળા તોડીને તસ્કરો એ હાથફેરો કર્યો હતો જોકે તસ્કર ગેંગનુ સમગ્ર કૃત્ય માર્કેટયાર્ડમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું
દરમિયાન દુકાનદારોને આજે સવારના સમયે ઘટનાની જાણ થઈ હતી જેના પગલે દુકાનદારો માર્કેટ યાર્ડ ખાતે આવેલ પોતપોતાની દુકાને દોડી ગયા હતા. આ દરમિયાન મહેમદાવાદ પોલીસ ટીમ પણ જાણના પગલે ત્યાં દોડી આવી હતી દરમિયાન એક જ રાતમાં અને નગરમાં એક જ વિસ્તારમાં ૧૪ જેટલી જગ્યાએ તાળા તૂટવાની આ ઘટનાએ મહેમદાવાદ પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે.
જોકે, વેપારીઓમાં એ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે કે શહેરના મુખ્ય માર્કેટ વિસ્તારમાં જ્યાં બેંકો અને ક્લિનિક્સ આવેલા છે, ત્યાં તસ્કરો બે કલાક સુધી આરામથી ૧૪ દુકાનોના તાળા તોડી ગયા અને પોલીસને તેની ભણક પણ ના આવી.
આ ઘટનાએ સાબિત કર્યું છે કે વિસ્તારમાં પોલીસનું નાઈટ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ મર્યાદિત છે. વેપારીઓ હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે સાથે ઘટનાના પગલે નગરજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે મહેમદાવાદ પોલીસે આ અંગે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

