સુરત, ધૂળેટીના પવિત્ર તહેવાર પર ગુજરાતમાં બે અલગ-અલગ ડૂબવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. અરવલ્લી અને સુરતમાં બનેલી આ કરુણ દુર્ઘટનાઓમાં કુલ ૫ આશાસ્પદ યુવાનો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે, જેના કારણે હોળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે હૃદયદ્રાવક ઘટના બની છે. ધૂળેટી રમીને શરીર સાફ કરવા માટે ગામના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ, રાયચંદ ડામોર અને જૈમીન ડામોર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધોરણ ૫ અને ૬ માં અભ્યાસ કરતા આ માસૂમ બાળકોના મોતથી ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મોડાસા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જેમને પોસ્ટમોર્ટમ અર્થે માલપુર સીએચસી ખાતે ખસેડાયા છે.સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામ પાસે પણ આવી જ એક ગમખ્વાર ઘટના બની છે. કીમ નદીમાં ધૂળેટીના દિવસે નહાવા ગયેલા ત્રણ મિત્રો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.
મૃતકોની ઓળખ ચંદ્રભૂષણ સિંગ, હેપ્પી સિંગ અને સંજય ધનજી માંગુકિયા તરીકે થઈ છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાંથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢી કીમ પીએચસી સેન્ટર ખાતે મોકલી આપ્યા છે. કોસંબા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.SS1MS

