વર્ષોથી મંદિરમાં રવિવારે અને ધાર્મિક તહેવારો પર વડીલ ભક્તો ભેગા મળીને ભજન-કીર્તન અને સભાનું આયોજન કરતા આવ્યા છે. આ સભામાં હરિભક્તો દ્વારા જે સામાન્ય રકમ એકઠી કરવામાં આવતી હતી, તેનો ઉપયોગ અન્ય મંદિરોના પ્રવાસ દરમિયાન દાન-ધર્માદા માટે કરવામાં આવતો હતો. જોકે, વર્તમાન વહીવટદારોએ આ સભાના પૈસા મંદિરમાં જમા કરાવવા અથવા સભા બંધ કરવા જેવો આકરો આદેશ આપ્યો છે. આ પ્રકારની જોહુકમીને કારણે ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સભાના સ્થળો બદલવાની ફરજ પડી રહી છે.
મંદિરના વહીવટમાં આવેલા નવા ચહેરાઓ દ્વારા વડીલ અને જૂના અનુયાયીઓને આપવામાં આવતા આદેશોથી હરિભક્તોને અત્યંત માઠું લાગ્યું છે. ઘણા ભક્તોનું માનવું છે કે જે લોકો માત્ર આચાર્ય કે સાધુઓની ખુશામત કરીને હોદ્દા મેળવ્યા છે, તેઓ હવે મંદિરને પોતાની ખાનગી મિલકત સમજી રહ્યા છે. વડીલ ભક્તો જેઓ માત્ર ભગવાન પ્રત્યે નિષ્ઠા રાખે છે અને કોઈ વ્યક્તિગત પૂજામાં માનતા નથી, તેઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અણઘડ વહીવટને કારણે ઘણા શ્રદ્ધાળુઓ હવે મંદિરે આવવાને બદલે ઘરે બેસીને માળા કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
મંદિર એ શ્રદ્ધાનું પ્રતીક છે અને તે કોઈ વ્યક્તિગત જાગીર નથી, છતાં અહીં સત્તાનું શૂરાતન ચઢેલા લોકો ભક્તિના માર્ગમાં અવરોધ ઊભા કરી રહ્યા છે. વહીવટકર્તાઓની આડમાં માલિકીપણું દાખવનારા તત્વોને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમાને પણ નુકસાન પહોંચી રહ્યું છે. વડીલ ભક્તોનું કહેવું છે કે સાધુઓ કે આચાર્યએ માન-સન્માનની અપેક્ષા રાખવાને બદલે નિસ્વાર્થ સેવા કરવી જોઈએ. જો વહીવટમાં સુધારો નહીં આવે તો ભવિષ્યમાં મંદિરના અનુયાયીઓની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.

