(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટને તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ એક ફરિયાદ મળી હતી. જેમાં ફરિયાદીએ તેમના ભોજનમાં મૃત ગરોળી નીકળી હોવાનું જણાવ્યું હતું. તંત્રને મળેલ ટેલીફોનિક ફરિયાદના આધારે Wah Pizza & Bhel House, 12-13-14, મ્યુ.માર્કેટ, સી.જી.રોડ, નવરંગપુરા, અમદાવાદવાળી જગ્યાની FSSAI / GPMC એક્ટ અન્વયે એફ.એસ.ઓ. દ્વારા ખાદ્ય એકમની તપાસ કરવામાં આવી હતી.. …
મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગના વડા ડો.તેજસ શાહના જણાવ્યા મુજબ ગ્રાહકની ફરિયાદ મુજબ ગ્રાહકે મંગાવેલ ખાદ્ય સામગ્રી ચણાપુરીમાં મૃત ગરોળી જોવા મળી હતી. જેનો ફરીયાદી દ્વારા ફોટોગ્રાફ બતાવેલ અને સ્થળ તપાસ દરમ્યાન તે ફરીયાદ સાચી હોવાનું સાબિત થયું હતું.
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ તપાસ કરતા રેસ્ટોરન્ટમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી હતી. તેમજ રેસ્ટોરન્ટમાં ડીપ ફ્રીજમાં જીવિત જીવાત પણ હતી.જેના કારણે આ એકમને તાત્કાલિક અસરથી જાહેર આરોગ્યના હિતમાં અચોક્કસ મુદત માટે સીલ કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા જો કોઇ ઇસમો / એકમો શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા જણાશે તો તેમની સામે FSSAI / GPMC એક્ટ અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

