“૧૩ વર્ષથી હું ધારાસભ્ય છું, હવે બીજાને તક મળવી જોઈએ”
(એજન્સી)વડોદરા, મધ્ય ગુજરાતમાં ભાજપના આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવતા ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર જૂનો રાગ આલાપ્યો છે. તેઓએ ફરી એકવાર ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી છે. વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ પણ કેતન ઈનામદારે આ જ શબ્દો કહ્યા હતા, હવે જોવું એ રહ્યું કે, તેઓ પોતાના કહ્યા બોલ પાળે છે કે નહિ, અને કેતન ઈનામદારની વાતમાં કેટલી ઈમાનદારી છે.
બરોડા ડેરી મુદ્દે સાવલીના કેતન ફાર્મ ખાતે કેતન ઈનામદારનો સમ્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડેસર ઝોનના ઉમેદવાર સુરપાલસિંહ પરમાર અને સાવલી ઝોનના ઉમેદવાર રામસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં કેતન ઈનામદારના સમર્થકો પણ હાજર રહ્યાં. આ પ્રસંગે કેતન ઈનામદારે મોટી જાહેરાત કરતા કહ્યું કે, ૭૬(બી) ની નોટિસમાં જિંદગીભર ન છૂટાય તેવી સ્થિતિ છે.
હું ૨૦૨૭ ની ચૂંટણી નહીં લડું. મીણબત્તીનું આયુષ્ય ખબર પડી જાય એટલે નિશાન નથી લીધું. આગળ તેઓએ કુલદીપસિંહ રાઉલજી પર આકરા પ્રહાર કહ્યું કે, મીણબત્તી તો હવે લગભગ ઓલવાઈ ગઈ છે. ૨૦૦૯ થી ૨૦૨૬ સુધી તમે રહ્યાં, હવે બીજા ને તક આપો. ૧૭ વર્ષ ડિરેક્ટર રહ્યા છતાં પેટ નથી ભરાયું? કેતન ઇનામદાર કે તેમના પરિવારમાંથી કોઈ ડેરીની ચૂંટીની લડે નહીં.
જો કોઈ ગેરરીતિ થઈ હોય તો સરકાર ચલાવી લેવા માંગતી નથી. ઓડિટમાં તમામ હકીકતો બહાર આવી ગઈ છે. ક્ષતિ રહેવી એ ખોટું કરેલું કૃત્ય છે. ગંભીર ભૂલ કરનારને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. આગામી સમયમાં બરોડા ડેરીમાં ભાજપનું બોર્ડ બનશે. તો કેતન ઇનામદારે આગળ કહ્યું કે, સ્વાગત, સન્માન, સાહેબ આ બધું ભૂલી જાઓ.
અમે તમારા સાથી છીએ. અમારી પાસે કરાવવું હોય એટલું કામ કરાવી લો. પાંચ વર્ષ બાદ તમને લાગે તો અમારું સન્માન કરજો. અમને ગળામાં હારનો ભાર જોઈતો નથી. આજે ટીમ વડોદરાને એક ચેલેન્જ આપુ છું. સૌ સાથે મળીને વડોદરાને સુરત અને અમદાવાદથી વધુ સ્વચ્છ બનાવવાનો પ્રયત્ન કરજો. વડોદરાને સ્વચ્છતામાં નંબર વન બનાવવા તરફ પ્રયાસ કરજો. એક બીજા પર કીચડ ઉછાળવાને બદલે શહેરને સૌથી વધુ સ્વચ્છ બનાવજો. દેશનું નંબર વન સ્વચ્છ શહેર વડોદરા બને તે દિશામાં આગળ વધજો.

