બેચરાજી-રણુજ રેલ ખંડનું બ્રોડગેજ કાર્ય પૂર્ણ –CRS નિરીક્ષણ માટે પ્રસ્તાવ પ્રેષિત ઉત્તર ગુજરાતના વિકાસને મળશે નવી ગતિ
અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 ઑગસ્ટ, 2025ના રોજ ગુજરાતના પ્રવાસ દરમિયાન ₹1,400 કરોડથી વધુ ખર્ચની વિવિધ રેલવે યોજનાઓ દેશને સમર્પિત કરી હતી, જેમાં બેચરાજી–રણુજ રેલ ખંડનો પણ સમાવેશ થાય છે, જેનું બ્રોડગેજમાં રૂપાંતર કાર્ય પૂર્ણ થયું છે. લગભગ 40 કિલોમીટર લંબાઈ અને ₹520 કરોડના ખર્ચથી પૂર્ણ થયેલ આ પ્રોજેક્ટ દ્વારા ઉત્તર ગુજરાતને મજબૂત રેલ સંપર્ક ઉપલબ્ધ થયો છે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ તેમજ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના અનુરૂપ વિકસાવવામાં આવ્યો છે, જેના કારણે વિસ્તારમાં સુરક્ષિત, ઝડપી અને અવરોધરહિત આવાગમન સુનિશ્ચિત થશે.
બેચરાજી–રણુજ રેલ ખંડ હેઠળના મધ્યવર્તી મુખ્ય સ્ટેશનોમાં ખાંભેલ અને ચાણસ્માનો સમાવેશ થાય છે, જે મહેસાણા અને પાટણ જિલ્લાનો મહત્વપૂર્ણ વિસ્તારો છે. આ રેલ લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર પૂર્ણ થઈ ચૂક્યું છે અને યાત્રી રેલ સેવાઓ શરૂ થતાં જ આ વિસ્તારોનાં ગ્રામિણ તથા અર્ધ-શહેરી વિસ્તારોને સીધો લાભ મળશે. ખાસ કરીને સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો તેમજ નાના વેપારીઓ માટે આવાગમન વધુ સરળ, ઝડપી અને કિફાયતી બનશે.
દેશના વિવિધ વિસ્તારોમાંથી બેચરાજી મંદિર તથા ત્યાં યોજાતા મેળામાં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને આ રેલ સુવિધાથી વિશેષ લાભ મળશે.

આ પ્રોજેક્ટ વિસ્તારના કૃષિ તથા લઘુ ઉદ્યોગો માટે પણ અત્યંત લાભદાયક સાબિત થશે. ખેડૂતોને પોતાના ઉત્પાદનોને મોટા બજારો સુધી પહોંચાડવામાં સુવિધા મળશે, તેમજ વ્યાપારી પ્રવૃત્તિઓને પણ નવી ગતિ મળશે. સાથે સાથે, આ રેલ ખંડ પ્રાદેશિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપતાં રોજગારના અવસરોમાં વધારો કરવામાં સહાયક બનશે. મલ્ટીમોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ પગલું છે, જેનો હેતુ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવો તથા રાજ્યના લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં સુધારો લાવવાનો છે.
મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે આ ખંડ પર અત્યાર સુધી માલગાડીઓનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. હવે યાત્રી રેલ સેવાઓ શરૂ કરવાનો હેતુ રાખીને બેચરાજી–રણુજ રેલ ખંડનું બ્રોડગેજ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે અને સીઆરએસ (Commissioner of Railway Safety) નિરીક્ષણ માટે પ્રસ્તાવ મોકલી આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે નિરીક્ષણ પૂર્ણ થયા બાદ આ ખંડ પર યાત્રી રેલ સેવાઓનું સંચાલન શરૂ કરવામાં આવશે, જેના કારણે વિસ્તારના મુસાફરોને સુરક્ષિત, સરળ અને સમયબદ્ધ મુસાફરી સુવિધા પ્રાપ્ત થશે.
આ સંદર્ભમાં મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશની અધ્યક્ષતામાં મંડળ રેલ પ્રબંધક કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં Director G-RIDE શ્રી રાજકુમાર, જી.એમ. (સિવિલ) શ્રી શિવેન્દ્ર કુમાર, અપર મંડળ રેલ પ્રબંધક (ઇન્ફ્રા) શ્રીમતી મંજુ મીના, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અન્નુ ત્યાગી, વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક ડૉ. જેનિયા ગુપ્તા તથા વરિષ્ઠ મંડળ અભિયંતા (સમન્વય) શ્રી વૈભવ સકલેચા ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલ સાથે દૂરભાષ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી, જેમાં તેમને બેચરાજી–રણુજ રેલ ખંડના સીઆરએસ નિરીક્ષણ માટે મોકલવામાં આવેલ પ્રસ્તાવ, વર્તમાન પ્રગતિ તેમજ આવનારી યાત્રી સેવાઓના સંચાલન સંબંધિત માહિતીથી અવગત કરવામાં આવ્યા. સાથે સાથે, આ રેલ ખંડના વિદ્યુતીકરણ (Electrification) માટે પણ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું, જેના કારણે ભવિષ્યમાં આ માર્ગ પર વધુ ઝડપી, પર્યાવરણ-અનુકૂળ તથા ઊર્જા કાર્યક્ષમ રેલ સંચાલન સુનિશ્ચિત થઈ શકશે.
અમદાવાદ મંડળ દ્વારા આ પ્રોજેક્ટને ઉચ્ચ ગુણવત્તાના ધોરણો અને નિર્ધારિત સમય-મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પહેલ ભારતીય રેલવેની યાત્રી-કેન્દ્રિત, આધુનિક અને વિકાસમુખી કાર્યપદ્ધતિને દર્શાવે છે. આ રેલ ખંડ શરૂ થવાથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત બનશે તેમજ ઉત્તર ગુજરાતના સામાજિક અને આર્થિક વિકાસને નવી દિશા મળશે.

