શ્રાવણ માસના પ્રથમ સોમવારના શુભ અવસરે પાટણ શહેરમાં જોષી પરિવાર દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધનાથ મહાદેવ મંદિરથી શરૂ થયેલી કાવડ યાત્રા શહેરના પંચોલી પાડા સ્થિત સુપ્રસિદ્ધ નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચી હતી. નીલકંઠ મહાદેવની સ્થાપના વર્ષો પહેલા જગદ્ગુરુ શંકરાચાર્યના આશીર્વાદથી થઈ હોવાનું કહેવાય છે.
આ કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવથી શરૂ થઈ પારેવા સર્કલ, જૂના બસ સ્ટેશન, બગવાડા દરવાજા, હિંગલાચર, જૂનાગંજ બજાર થઈને નીલકંઠ મહાદેવ પહોંચી હતી. ત્યાં ભગવાન મહાદેવના મહિમાનું પઠન કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા શિવલિંગને જળ અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાવડયાત્રામાં પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્ય, પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઇ પટેલ તેમજ મોટી સંખ્યામાં જોષી પરિવારના સભ્યો અને પાટણના ધમ્મપ્રેમી રહીશોએ ભાગ લીધો હતો.