વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના મુઝપર ગામે આધેડની હત્યા કરીને લાશને દાટી દેવાના ગુનાનો ભેદ ઉકેલવામાં પાદરા પોલીસને સફળતા મળી છે. પોલીસે આ કેસમાં 2 લોકોની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના મુજપુર ગામે સરકારી દવાખાના પાસે પરિવાર સાથે રહેતો ગેમલસિંગ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જેની ગઈકાલે દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહી નદીના ઘાટમાં ઉંડા ખાડામાં દટાયેલી લાશ મળી આવી હતી. પાદરા પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને જિલ્લા એસઓજીની ટીમે આ મામલે તપાસ કરી હતી.
આ તપાસ દરમિયાન પોલીસે સંજય પઢિયાર અને ભૂપેન્દ્ર પઢિયાર નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ 15 દિવસ પહેલા મૃતક ગેમલ સિંહને 1000 રૂપિયા આપ્યા હતા. તે પરત ન આવતાં ગેમલસિંહને ખેતરમાં મળવા બોલાવ્યો હતો. જ્યાં આરોપીએ ગેમલસિંહની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જે બાદ તેની લાશને મહી નદીની કોતરોમાં ઉંડા ખાડામાં દાટી દેવામાં આવી હતી.
આ કેસમાં પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. અને હત્યામાં વપરાયેલી કુહાડી કબજે કરવામાં આવી છે. હાલ પાદરા પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.