અનિલ અંબાણીની વધુ એક કંપની વેચાવા જઈ રહી છે. એક સમયે દેશની ટોપ ટેલીકોમ કંપનીઓમાં નંબર 1 પર રહેલી કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ચલાવનારા બિઝનેસમેન અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પણ વેચાવા જઈ રહી છે. આ કંપનીનું અધિગ્રહણ દેશનું ટોચનું ‘હિન્દુજા ગ્રુપ’ કરવા જઈ રહ્યું છે, જેના માટે તેને રૂપિયા 6660 કરોડ એકઠા કરવાનું કામ શરૂ કરી દીધુ છે. આ વિશે જાણકારી આપતા સુત્રોએ જણાવ્યું કે હિન્દુજા ગ્રુપે 80 કરોડ ડોલર એકત્ર કરવા માટે કવાયત હાથ ધરી છે, જેથી રિલાયન્સ કેપિટલને ખરીદી શકે. કંપની તેના માટે પ્રાઈવેટ ક્રેડિટ ફંડના માધ્યમથી પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે તેને લઈને બંને પક્ષ વચ્ચે હાલમાં કોઈ સહમતિ બની શકી નથી.
એક સમયે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ દેશમાં સૌથી મોટી પ્રાઈવેટ ફાયનાન્સ કંપની હતી. તે એક શેડો બેન્ક તરીકે કામ કરી રહી હતી. એક સમયે સરકારના પીએફ ફંડનો એક ભાગ પણ તેમની કંપની સંભાળતી હતી. રિલાયન્સ કેપિટલનો જ ભાગ રહેલી ‘રિલાયન્સ જનરલ ઈન્શોયોરન્સ કંપની’ દેશની સૌથી મોટી પ્રાઈવેટ જનરલ ઈન્શોયોરન્સ કંપનીઓમાંથી એક હતી. વર્ષ 2021માં RBIએ રિલાયન્સ કેપિટલને ટેકઓવર કરી લીધી હતી. તેનું કારણ છેલ્લા કેટલાક વર્ષોની અંદર 5 મોટી NBFCનું ડિફોલ્ટ થવાનું છે. જો હિન્દુજા ગ્રુપની વાત કરીએ તો તે ઓટોમોબાઈલથી લઈને ફાઈનાન્શિયલ સર્વિસ, કેમિકલ અને રીયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરે છે. ત્યારે રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે આ ગ્રુપ પૈસા એકત્ર કરવામાં લાગ્યુ છે. જો કે અત્યાર સુધી આ મુદ્દે કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. હવે બ્લૂમબર્ગનું કહેવું છે કે હિન્દુજા ગ્રુપ 80 કરોડ ડોલર એકત્ર કરી રહ્યું છે. જો કે તેની પર હિન્દુજા ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.