ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અંબાજીમાં 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજવાનું આયોજન છે. જેમાં લાખો ભક્તો આ મેળામાં અંબાજી માતાજીના દર્શનનો લાભ લે છે. લાખો શ્રધ્ધાળુઓની સુવિધા અને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા તમામ સુવિધાઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો માઇ ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે અંબાજી મંદિરના શક્તિ મંડળ દ્વારા રેલીંગ ગોઠવવાની અને વ્યવસ્થા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી મંદિરના શક્તિ દ્વાર સામેનો વન-વે હાઇવે હાલ યાત્રિકોની સુવિધા અને દર્શન રેલીંગની કામગીરી માટે બંધ છે. જેથી કરીને મોટી સંખ્યામાં ભક્તો કોઈપણ મુશ્કેલી વિના માતાજીના દર્શન કરી શકે. હાઇવેની એક બાજુ ગાર્ડ્રેલ લગાવવા માટે બંધ કરી દેવામાં આવી છે. તેથી, બીજી બાજુનો હાઇવે હાલમાં વાહનોની અવરજવર માટે ખુલ્લો છે.