(GNS), તા.11
અમદાવાદ,
કહેવાય છે કે પાણી, જમીન અને છોરૂ એ ત્રણેય કજિયાનું છોરૂ છે.આ કહેવતને સાર્થક કરતી એક ઘટના શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. ગુરુવારે મોડી રાત્રે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા અમી એપાર્ટમેન્ટમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પોલીસને ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે મિલકતના વિવાદને લઈને બે ભાઈઓ વચ્ચે થયેલી લડાઈમાં ફાયરિંગ થયું હતું. આરોપી પ્રવેન્દ્ર માહુરની માતાનું 7મી ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું.જેના કારણે પ્રવેન્દ્ર, તેનો ભાઈ ગજેન્દ્રસિંહ અને અન્ય સંબંધીઓ ઘાટલોડિયા અમી એપાર્ટમેન્ટમાં અજેન્દ્રસિંહના ઘરે એકઠા થયા હતા.માતાની મિલકત બાબતે પ્રવેન્દ્ર અને ગજેન્દ્રસિંહ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી.
જોકે, સંબંધીઓએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. પરંતુ રાત્રે 125 વાગ્યાની આસપાસ પ્રવેન્દ્ર અને તેની પત્ની ફરી આવ્યા હતા. અને શાબ્દિક બોલાચાલી બાદ પ્રવેન્દ્રએ પોતાની પાસે રાખેલી રિવોલ્વરમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ અંગે પોલીસને જાણ થતાં તેઓએ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી રિવોલ્વર અને કેટલાક કારતૂસ પણ કબજે કર્યા છે.આરોપી પાસેથી કબજે કરાયેલી રિવોલ્વરનું લાયસન્સ રદ કરવાની પણ પોલીસ કાર્યવાહી કરશે.