અમદાવાદમાં 146મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રાને હવે માત્ર 28 દિવસ બાકી છે ત્યારે નાથની રથયાત્રા પહેલા ક્રાઈમ બ્રાંચે એક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ સાથે એક શકમંદની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ કરી રહી છે.
અમદાવાદમાં નવા રથ તૈયાર થઈ રહ્યા છે. નાથની રથયાત્રા પૂર્વે જ નાથના નગરચર્યા માટે નીકળવાના રૂટને લઈને તૈયારીઓ થઈ રહી છે. રથયાત્રા શરૂ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે સલમાન ખાન નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપી પાસેથી એક પિસ્તોલ અને 4 જીવતા કારતુસ મળી આવ્યા છે. પરંતુ આ હથિયારો આવ્યા ક્યાંથી? અને કોઈ પ્લાન બનાવાયો છે કે કેમ તે અંગે ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં રજ્જો નામનો અન્ય એક આરોપી ફરાર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા ગુજરાત ATSએ રથયાત્રા પહેલા અમદાવાદના નારોલમાંથી ત્રણ બાંગ્લાદેશી યુવકોની અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ ભગવાનની રથયાત્રા પર હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આવી બાતમી મળતાં ગુજરાત ATSએ બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શનના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
રથયાત્રાને હવે માત્ર 28 દિવસ બાકી છે અને તમામ તૈયારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જગન્નાથપુરીની સાથે સાથે અમદાવાદમાં પણ અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ થાય છે. આ વખતે 146મી રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાનના રથ છે. જો કે પુરીમાં દર વર્ષે ભગવાનનો રથ બનાવવામાં આવે છે. પરંતુ 72 વર્ષ બાદ અમદાવાદનો રથ બની રહ્યો છે.
ખાસ વાત એ છે કે નવા રથનું કદ મંદિરની પરંપરા અનુસાર છે. રથ બનાવવા માટે સાગ અને તિલના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાકડાની ઘણી માંગ છે. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલશે. રથને બનાવવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે. 5 કારીગર રથ બનાવી રહ્યો છે.
જૂના રથની સરખામણીમાં નવા રથમાં કેટલાક ફેરફારો છે. એક વખત બનાવ્યા પછી 80 વર્ષ સુધી ટકી રહે તેવી તાકાત સાથે નવા રથ બનાવવામાં આવી રહ્યા છે. ત્રણેય રથની થીમ બદલવામાં આવી છે, જેમાં પહેલા રથની ડિઝાઈન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર આધારિત છે. બીજો રથ નવ દુર્ગાની થીમ પર સુભદ્રાજીના લાલ અને પીળા રંગમાં અને ત્રીજો રથ ચાર ઘોડાની થીમ પર બનાવવામાં આવશે. જૂના રથમાંથી નવા ત્રણ રથોમાં નજીવા ફેરફારો કરવામાં આવ્યા છે અને બંધારણમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.