કાર મનોજ અગ્રવાલના નામની હતી, પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
અમદાવાદઃ
થોડા દિવસો પહેલા ઈસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતની શાહી હજુ સુકાઈ નથી કે શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે ત્રણ કારને ટક્કર મારી હતી. જો કે આમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ એક મહિલા ઘાયલ થઈ છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાત્રે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે એક ઝડપી કારે અન્ય 3 કારને ટક્કર મારી હતી. હેરિયરના ચાલકે ત્રણ કારને ટક્કર મારી હતી, જેમાંથી બેને ગંભીર નુકસાન થયું હતું અને એક કારને સામાન્ય નુકસાન થયું હતું. આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, એક મહિલાને સામાન્ય ઈજા થઈ હતી.
સાક્ષીએ દાવો કર્યો હતો કે વાહનની ઝડપ 100 કિમી પ્રતિ કલાક હતી. જેની જીજે 38 બીઇ 9113 નંબરની ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ભીડભાડવાળા વિસ્તારમાં તેજ ગતિએ ડ્રાઇવિંગ કરતી વખતે આ અકસ્માત થયો હતો.
પોલીસે કારને ટ્રેસ કરી હતી, પરંતુ ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનેલી કાર હવે સ્કાય સિટીની સ્કીમ ફ્લોરિસમાંથી મળી આવી છે. અકસ્માત સર્જનાર કાર નંબર ‘GJ 38 BE 9113’ મનોજ અગ્રવાલના નામની હોવાનું બહાર આવ્યું છે. પોલીસને થોડીવારમાં આ કાર મળી ગઈ. સાથે જ પોલીસે અકસ્માત બાદ નાસી છૂટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ઇસ્કોન બ્રિજ પર ગોઝારા અકસ્માતની ઘટનાના થોડા દિવસો બાદ માણેકબાગ પાસે દારૂના નશામાં આવેલી BMW કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો.