મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે જ્યાં સુધી ફુગાવો ચાર ટકાની આસપાસ સ્થિર નહીં થાય ત્યાં સુધી વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે નહીં. વ્યાજદરમાં ઘટાડા અંગે હાલમાં કોઈ ચર્ચા થઈ નથી. ગવર્નરે બ્લૂમબર્ગ ટીવી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, “ફુગાવો હવે ધીમો પડવા લાગ્યો છે, પરંતુ જ્યાં સુધી ફુગાવો નીચો રહેશે તેવો સ્પષ્ટ પુરાવો ન મળે ત્યાં સુધી વ્યાજદરમાં ઘટાડો કરવા વિશે કંઈપણ કહેવું ખૂબ જ વહેલું છે.”
વ્યાજદરમાં ઘટાડાનો વિષય પણ ચર્ચામાં નથી. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની છેલ્લી પાંચ બેઠકોમાં વ્યાજ દરો યથાવત રાખવામાં આવ્યા છે.
અર્થશાસ્ત્રીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરશે ત્યારબાદ આરબીઆઈ પણ ચાલુ વર્ષમાં ઘટાડો શરૂ કરશે. એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં સરેરાશ મોંઘવારી દર 4.50 ટકા રહેવાની ધારણા છે.
ગવર્નરે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વ્યાજ દરમાં ઘટાડા અંગે કોઈ આગોતરી અંદાજ આપવા માંગતા નથી.
ફેડરલ રિઝર્વ દ્વારા નીતિ હળવી કરવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બજાર વિશ્વની મધ્યસ્થ બેન્કો શું કરશે તે અંગે પૂર્વ ધારણાઓ બનાવે છે અને તે મુજબ કાર્ય કરશે, જે ન થવું જોઈએ. ભારતમાં વ્યાજ દરમાં ઘટાડો સ્થાનિક પરિબળો પર નિર્ભર રહેશે.
એક વિશ્લેષકે જણાવ્યું હતું કે દાસનું નિવેદન અપેક્ષિત હતું જ્યારે વૈશ્વિક વ્યાજ દર લાંબા સમયથી ઊંચા છે. ભારત વ્યાજદરમાં ઘટાડો કરવા માટે ફેડને અનુસરે તેવી શક્યતા નથી. ભારતમાં વ્યાજ દરનું સ્તર વર્તમાન સ્તરે જ રહેશે.
ડિસેમ્બરમાં ભારતનો ફુગાવો ચાર મહિનાની ટોચે પહોંચી ગયો હતો. ખાદ્યપદાર્થોના ભાવમાં અસ્થિરતાને પરિણામે ફુગાવો ઊંચો રહે છે. અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું કે વપરાશ અને બળતણ ખર્ચને બાદ કરતાં છૂટક ફુગાવો ચાર ટકાથી નીચે રહ્યો છે, જેનાથી વ્યાજદરમાં ઘટાડો થવાની આશા વધી છે.
તેમણે એમ પણ કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા રહેવાની ધારણા છે.