ઊંઝા તાલુકાના ભુણાવ ગામનો રાજપૂત સમાજનો યુવક બે દિવસ પહેલા ઘરેથી નીકળ્યો હતો. જેમાં સગાસંબંધીઓએ શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. જેમાં આજે વહેલી સવારે ભુણાવ અને દાસજ સીમ વિસ્તારમાં આવેલા કુવામાંથી રાજપૂત કીર્તિસિંહની લાશ મળી આવી હતી. બનાવની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડયો હતો.ભુણાવ ગામમાં બનેલી ઘટનાની જાણ ગ્રામજનોને થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાને જોવા ઉમટી પડ્યા હતા. જે બાદ ભુણાવના ગ્રામજનોએ ઊંઝા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી અને ભારે જહેમત બાદ મૃતક યુવકને ખાલી કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઊંઝા પોલીસે આવી ગ્રામજનોના જવાબો લઈ મૃતદેહ પરિવારને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક બે દિવસ પહેલા ઘરેથી જાણ કર્યા વગર જતો રહ્યો હતો. તે માનસિક બિમારીનો પણ શિકાર હતો જેના કારણે આ પગલું ભર્યાની વાત સામે આવી હતી. જેમાં પોલીસે ભુણાવના ગ્રામજનોને બોલાવી જવાબી કાર્યવાહી હાથ ધરી હતી અને ફાયર બ્રિગેડની ટીમે આવી મૃતદેહોને બહાર કાઢી સ્વજનોને સોંપી હતી.