નવી દિલ્હી: રશિયાના મગદાનમાં ફસાયેલ એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન સુધારી લેવામાં આવ્યું છે અને પ્લેન હવે મુંબઈ માટે રવાના થઈ ગયું છે. એરલાઈન્સે શનિવારે આ માહિતી આપી હતી.એર ઈન્ડિયાના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે બોઈંગ 777-200LR એરક્રાફ્ટને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે અને તે મુંબઈ જઈ રહ્યું છે.
એક નિવેદનમાં, પ્રવક્તાએ કહ્યું, “અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે એરક્રાફ્ટ એન્જિનમાંથી એકની ઓઇલ સિસ્ટમમાં ખામી અમારી એન્જિનિયરિંગ ટીમ દ્વારા સુધારી લેવામાં આવી છે. આજે જીડીએક્સ પરથી ઉડાન ભરતા પહેલા એરક્રાફ્ટની સુરક્ષાના તમામ માપદંડો પર તપાસ કરવામાં આવી હતી અને તે સેવાયોગ્ય જણાયું હતું.”
એક સ્ત્રોતના જણાવ્યા અનુસાર પ્લેનમાં બે પાઈલટ અને આઠ ક્રૂ મેમ્બર છે.મગદાન રશિયાના ઉત્તરપૂર્વમાં ઓખોત્સ્કના કિનારે છે અને મગદાન ઓબ્લાસ્ટનું વહીવટી કેન્દ્ર છે. તે મોસ્કોથી લગભગ 10,167 કિલોમીટર દૂર છે.