વિદ્યાર્થીઓને શિક્ષણના બદલે રસોઈના પાઠ ભણાવવાથી વિવાદ સર્જાયો હતો
(GNS),તા.15
વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડામાં આવેલી આશ્રમ શાળાએ વિદ્યાર્થીઓને શિક્ષણને બદલે રસોઈના પાઠ ભણાવીને વિવાદ સર્જ્યો છે. કપરાડા આશ્રમ શાળામાં રસોઈયાને બદલે બાળકો રસોઈ બનાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેને લઈને વિવાદ સર્જાયો છે. ઘટના એવી છે કે વલસાડના કપરાડ ખાતે આવેલી શાળામાં વર્ગ-4ના કર્મચારી તરીકે કામ કરતા રસોઈયાની જગ્યા ઘણા સમયથી ખાલી છે. તેથી શાળા વિદ્યાર્થીઓ માટે જાતે ભોજન બનાવે છે. વિદ્યાર્થીઓને રસોઈ બનાવતો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓમાં ભોજન રાંધવાને લઈને વિવાદ ઉભો થયો છે. વાલીઓ અને અન્ય સ્થાનિકોએ જિલ્લા આશ્રમ શાળા વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ વિદ્યાર્થીઓની રસોઈનો વિડીયો વાયરલ થતાં અધિકારીઓ દોડતા થયા હતા. આશ્રમ શાળાના અધિકારી વિક્રાંત થોરાના જણાવ્યા અનુસાર સમગ્ર મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ વર્ગ-4માં રસોઈયાની જગ્યા ખાલી છે. આથી આ મામલે સરકારને રજૂઆત કરવામાં આવી છે. હવે રસોઈયાની ભરતી કરવામાં આવશે. રસોઈયાના અભાવે વિદ્યાર્થીઓને રસોઈ કરવી પડી હતી.