કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ગુરુવારે દેશભરમાં મહાસચિવો, પ્રભારીઓ, રાજ્યોના પ્રદેશ પ્રમુખો અને કોંગ્રેસ વિધાયક દળના નેતાઓ સહિત પદાધિકારીઓ સાથે બેઠક કરી. બેઠકનો એજન્ડા 2024ની લોકસભા ચૂંટણી અને આગામી ભારત ન્યાય યાત્રા માટે પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરવાનો હતો. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને આડે હાથ લીધી. ખરગેએ કહ્યુ કે મણિપુરમાં પીએમ મોદીનું ન જવુ જ સાબિત કરે છે કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર તે કેટલા બિનજવાબદાર છે. મોદી સરકાર આધુનિક ભારતના નિર્માણમાં કોંગ્રેસના યોગદાનને નજર અંદાજ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ કે જે લોકો ઈતિહાસ ભૂલી જાય છે, તે ઈતિહાસ નથી બનાવી શક્તા. કોંગ્રેસ અધ્યક્ષે પાર્ટી કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યા કે એસસી, એસટી, ઓબીસી, લઘુમતીઓ પર ખાસ ધ્યાન આપવુ પડશે. તેમના વોટ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય. માઈગ્રેટ વોટર પર પણ ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ તેમણે જણાવ્યુ કે આપણે ખોટી વાતોને તુરંત કાપી દઈ કિનારો કરવો પડશે. તેમણે કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપી કે પાર્ટીના આંતરિક મુદ્દાઓને મીડિયા સુધી લઈ જવાથી બચવુ જોઈએ..
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યુ કે પીએસયુ અને અન્ય મોટી સંસ્થાઓને વેચી દેવામાં આવી રહી છે. દરેક સંસ્થાનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમણે એનડીએને લઈને કહ્યુ કે હાલ નામ પુરતુ જ એનડીએ રહી ગયુ છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં જમીન સાથે જોડાયેલી પાર્ટીઓ છે. જેની પાસે મજબુત કેડર અને આઝાદ વિચારધારા છે. રાત દિવસ મહેનત કરી 2024ની ચૂંટણીમાં અમે લોકો વૈકલ્પિક સરકાર દેવામાં સક્ષમ છીએ. આ તરફ દિલ્હીમાં અખીલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) મુખ્યાલયમાં આયોજિત બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કરી. પાર્ટી પ્રમુખ ખરગે અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલા જ આમ ચૂંટણીની તૈયારીઓ પર રાજ્યના નેતાઓ સાથે અનેક રાઉન્ડમાં ચર્ચા કરી ચુક્યા છે. ભારત ન્યાય યાત્રા એ ભારત જોડો યાત્રાની બીજી આવૃતિ છે. જેનું આયોજન સપ્ટેમ્બર 2022 થી જાન્યુઆરી 2023 વચ્ચે કરવામાં આવ્યું હતું. આ યાત્રા દ્વારા કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા જનતા સુધી પહોંચવાનો અને તેમની સાથે જોડાવાનો પ્રયાસ કરશે.