અમદાવાદઃ કોવિડ-19 રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પરિવારોએ તેમની બચતનું પ્રમાણ અન્ય સ્થળોની સરખામણીએ સોનામાં વધારે રાખ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM-A)ના અભ્યાસમાં આ હકીકત સામે આવી છે. ‘રોગચાળા દરમિયાન ઘરગથ્થુ પોર્ટફોલિયોમાં સોનું: ઊભરતી અર્થવ્યવસ્થાના પુરાવા’ શીર્ષક હેઠળના IIM-A અભ્યાસમાં જણાવાયું છે કે કોવિડ પ્રભાવિત જિલ્લાઓમાં પરિવારોએ રોગચાળા દરમિયાન અન્ય નાણાકીય સંપત્તિ અને રોકડ કરતાં સોનામાં રોકાણ કરવાનું પસંદ કર્યું હતું.
IIM-અમદાવાદનો આ અભ્યાસ 30 જૂને તેની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. આ સર્વેમાં 21 રાજ્યોના 142 જિલ્લાઓને સામેલ કરવામાં આવ્યા છે. અભ્યાસ અહેવાલ મુજબ, ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે અને સરેરાશ ભારતીય પરિવાર તેની કુલ બચતના 11 ટકા કિંમતી ધાતુમાં રાખે છે. આરોગ્યસંભાળ સુવિધાઓની ઉપલબ્ધતામાં ભૌગોલિક અસમાનતાને સંબોધવાથી લોકોમાં આ ડર ઓછો થઈ શકે છે, અભ્યાસમાં જણાવાયું છે. આનાથી સોના જેવી સુરક્ષિત સંપત્તિ તરફનું વલણ ઘટી શકે છે.
વધુમાં, નાણાકીય સાધનો અને સંસ્થાઓની વધુ સારી પહોંચ કટોકટીના સમયમાં સોનામાં થાપણો રાખવાની પસંદગીને ઘટાડી શકે છે. 1,000 વસ્તી દીઠ કોવિડ કેસોની દ્રષ્ટિએ ટોચના ત્રણ જિલ્લાઓએ સોના તરફ વધુ વલણ દર્શાવ્યું છે. અભ્યાસ મુજબ, કોવિડ પ્રભાવિત જિલ્લાઓમાં ઘરગથ્થુ બચત પોર્ટફોલિયોમાં સોનાનો હિસ્સો અન્ય જિલ્લાઓની તુલનામાં 6.9 ટકા વધુ હતો. બીજી તરફ, નાણાકીય અસ્કયામતોમાં તેમની બચત 4.1 ટકા પોઈન્ટ ઓછી હતી.