આવતીકાલે બનાસકાંઠા, સુરત, રાજકોટ અને કચ્છ સહિતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં કેવો વરસાદી માહોલ રહેશે એ અંગે આગાહી કરી છે. જે અનુસાર, આવતીકાલે બનાસકાંઠા, સુરત, રાજકોટ અને કચ્છ સહિતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આજે કેટલાક ભાગોમાં ધોધમાર વરસ્યો છે. જ્યારે મોટભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
તારીખ 26 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે, 27 જુલાઈના દિવસે ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
28 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તથા 29 જુલાઈના દિવસે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે અને 30 જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 70 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી આ૫વામાં આવી હતી. રાજ્યના 206 જળાશયો પૈકી 87 જળાશય હાઈએલર્ટ, 16 જળાશય એલર્ટ અને 15 જળાશય વોર્નિંગ પર છે. આમ, સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશય પૈકી 119 જેટલા જળાશયો 70 ટકાથી વધુ ભરાયેલા છે.