ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. આજે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપતા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના ઘરે જઈને રાજીનામું સુપરત કર્યું હતું. તેમજ તેમના રાજીનામા બાદ તેઓ ભાજપ સરકારમાં જોડાય તેવી પ્રબળ સંભાવના છે.
એક તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે ગુજરાતમાં પ્રવેશી રહી છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસ છોડો માર્ચ શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જેમણે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તેઓ અર્જુન મોઢવાડિયા જૂથના છે. હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એક જ ધારાસભ્ય વિમલ ચુડાસમા છે.
સૌરાષ્ટ્રને રાજકારણની પાઠશાળા માનવામાં આવે છે. ચૂંટણી પહેલા કે વખતે દરેક રાજકીય પક્ષો સૌરાષ્ટ્ર પર નજર રાખે છે. તેમાં ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં 5 લાખની જંગી લીડથી જીતવાનું લક્ષ્યાંક ધરાવે છે. ત્યારે ભાજપ સૌરાષ્ટ્રમાં વિપક્ષને તોડવાનું કામ કરી રહ્યું છે. 7 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની 48માંથી 30 બેઠકો પર કોંગ્રેસનો દબદબો હતો. હાલમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે કોંગ્રેસની શૂન્ય બેઠક યોજવાની તૈયારીઓ થઈ રહી છે.