ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરોએ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં ધાંધલધમાલનો વિરોધ શરૂ કરી દીધો છે. આ સાથે ઈમરાન ખાને ચેતવણી આપી છે કે જો ચૂંટણી પંચ અડધી રાત સુધીમાં પરિણામ જાહેર નહીં કરે તો વિરોધ ઉગ્ર બનાવશે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી મતદાનની ગણતરી ચાલી રહી છે. પરંતુ હજુ સુધી સંપૂર્ણ અંતિમ પરિણામ જાહેર થયું નથી.
પંજાબ અને ખૈબર-પખ્તુનખ્વામાં પણ સરકાર બનાવવાનો દાવો
ઈમરાનની પાર્ટી પીટીઆઈએ કહ્યું કે ચૂંટણી પંચે મધ્યરાત્રિ સુધીમાં સંપૂર્ણ પરિણામો જાહેર કરવા જોઈએ અથવા જ્યાં પરિણામો જાહેર થયા નથી તેવા વિસ્તારોમાં વિરોધનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આ દરમિયાન પાર્ટીએ પંજાબ અને ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો.
પીટીઆઈએ 100થી વધુ બેઠકો કબજે કરી છે
તમને જણાવી દઈએ કે, 8 ફેબ્રુઆરી, ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ નેશનલ એસેમ્બલીમાં 100થી વધુ બેઠકો જીતી છે. પરંતુ બે દિવસ થવા છતાં હજુ સુધી ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થયા નથી. પરંતુ બેઠકો જોતા સ્પષ્ટ થાય છે કે દેશમાં ગઠબંધન સરકાર બનશે.