ઓડિશા
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત લેનારાઓ માટે સારા સમાચાર છે. શ્રી જગન્નાથ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે જમીન સંપાદનનું કામ આગામી 6 મહિનામાં પૂર્ણ થઈ શકે છે. રાજ્ય સરકારના એક અધિકારીએ જણાવ્યું કે બાંધકામનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 1,164 એકર જમીન પર બનાવવામાં આવશે. પ્રારંભિક અંદાજ મુજબ એરપોર્ટના નિર્માણમાં આશરે રૂ. 5,631 કરોડનો ખર્ચ થશે. બ્રહ્મગિરી તહસીલ હેઠળ સિપાસરુબલી અને સાંધાપુરમાં 68 એકર જંગલ અને 221.48 એકર ખાનગી જમીન સંપાદિત કરવાની છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે 961 એકરથી વધુ જમીન સંપાદિત કરવામાં આવી છે, જ્યારે 221.48 એકર ખાનગી જમીન માટે પ્રક્રિયા ચાલી રહી છે.
એરપોર્ટ પ્રોજેક્ટ માટે ખાનગી જમીનમાં સિપારુબલીમાં 153.37 એકર અને સાંધાપુરમાં 68.11 એકર જમીનનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોના પુનર્વસન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ‘જમીનની ઓળખ અને OLS સર્વે બાદ આ પ્રોજેક્ટનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ખાનગી જમીન સંપાદન માટે જાહેર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે એરપોર્ટના નિર્માણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ કહ્યું કે અમે કેટલીક વધુ મંજૂરીઓની રાહ જોઈ રહ્યા છીએ. આ પછી ટૂંક સમયમાં કામ શરૂ થશે.
પુરી હેરિટેજ કોરિડોરનું નિર્માણ 11 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
દરમિયાન, ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેનાએ કહ્યું કે પુરીમાં જગન્નાથ મંદિરની આસપાસ પરિક્રમા અથવા હેરિટેજ કોરિડોરનું નિર્માણ 11 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી, જેનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ થશે. મુખ્ય સચિવે કહ્યું, ‘કામ પૂરું થયા પછી, પ્રોજેક્ટ મંદિર પ્રશાસનને સોંપવામાં આવશે અને પોલીસ 14 જાન્યુઆરી સુધી વિસ્તારની સુરક્ષા સંભાળશે. 17 જાન્યુઆરીએ પરિક્રમા પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે દેશ-વિદેશથી આવનારા ભક્તોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. ઉદ્ઘાટનના દિવસે આ યાત્રાધામ શહેરમાં આવતા વાહનો માટે પાર્કિંગની નવી જગ્યા બનાવવામાં આવશે.