નવી દિલ્હી
માનસિક સમસ્યાઓ દૂર કરવાના હેતુથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ કેન્દ્ર સરકારના ટેલિ માનસ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું કે ઑક્ટોબર 2022 માં તેની શરૂઆત થઈ ત્યારથી, ટેલિ માનસ હેલ્પલાઈન પર એક લાખથી વધુ કૉલ્સ આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમગ્ર દેશમાં તમામને ગુણવત્તાયુક્ત માનસિક આરોગ્ય સંભાળ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે સાથે મળીને કામ કરીને માનસિક સમસ્યાઓ દૂર કરી શકાય છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં ચોવીસ કલાક ઉપલબ્ધ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર (14416) સ્થાપિત કર્યો છે. આના પર કૉલર સેવાઓનો લાભ લેવા માટે તેમની પસંદગીની ભાષા પણ પસંદ કરી શકે છે. આ સેવા 1-800-91-4416 પર પણ ઉપલબ્ધ છે. આ નંબર પર કરવામાં આવેલ કોલ સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ટેલી માનસ સેલને ફોરવર્ડ કરવામાં આવે છે.