ડીસા પંથકમાં મોડી રાત્રીના તોફાનનો લાભ લઈ તસ્કરોએ ત્રાટકી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં માલગઢ ગામના ત્રણ મકાનોને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની માલમત્તાની ચોરી કરી ગયા હતા.પોલીસ આ કેસની તપાસ હજુ પણ કરી રહી છે. માલગઢ ગામમાં રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા છે. જેમાં સુખદેવભાઈ દેવડાના મકાનની પાછળની બારી તોડી તસ્કરો પ્રવેશ્યા હતા. જ્યારે તસ્કરો વાઘાજી પઢિયારના ઘરના આગળના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે સગાસંબંધીઓએ ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો તો ઘરમાં તમામ સામાન વેરવિખેર હતો. જેથી ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ગામમાં ચોરીની જાણ થતાં જ સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યારે ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ પણ પહોંચી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં બે મકાનોમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અન્ય ભરતભાઈ પઢિયારના મકાનમાં તસ્કરોએ પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. મકાન માલિકની ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.