ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા અને ગામમાં સારા નરસા નિમિત્તે ઢોલ વગાડીને પોતાનું ગુજરાન ચલાવતા નાગુભાઈ વાલ્મીકીની પત્નીનું એકાદ-બે મહિના પહેલા બિમારીના કારણે અવસાન થયું હતું. પત્નીના અવસાન બાદ નાગુભાઈની માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. આ સાથે જ પાંચ બાળકો અને માતા સહિત સાત સભ્યોના ભરણપોષણની જવાબદારીથી કંટાળીને નાગુભાઈએ પાંચ દિવસ પહેલા તેની માતા અને પાંચ બાળકોને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી ઝેરની અસર થતા તમામ સભ્યોને પ્રથમ ડીસા અને ત્યારબાદ પાલનપુર સારવાર માટે લઇ જવાયા હતા.
એક દિવસ પહેલા જ નગુભાઈના એક વર્ષના પુત્ર સાગર વાલ્મીકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે નગુભાઈની તબિયત ગંભીર જણાતા આજે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આમ સાત સભ્યોના પરિવારમાં પિતાના મૃત્યુ બાદ પુત્રના મૃત્યુ બાદ પરિવારનો મુખ્ય આધારસ્તંભ તૂટી ગયો છે. હવે પરિવારમાં ચાર બાળકો અને એક દાદી છે. જેની સારવાર પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ બનાવને પગલે સમગ્ર માલગઢ ગામમાં તેમજ વાલ્મીકી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.