બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી અનાજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે ડીસામાં અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડી સસ્તા અનાજનો ગેરકાયદેસર સંગ્રહ કરવાનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે દુકાનના માલિકો હાજર ન રહેતા તેમના વેરહાઉસને સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીસામાં આજે જિલ્લા પુરવઠા વિભાગ, ડીસા શહેર અને ગ્રામ્ય મામલતદારની સંયુક્ત ટીમોએ અલગ-અલગ ચાર જગ્યાએ દરોડા પાડ્યા હતા. પુરવઠા વિભાગની ટીમે રીશાળા મંદિર પાછળ અલગ અલગ ચાર જગ્યાએ દરોડા પાડી સસ્તા અનાજની દુકાનનો અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો. આ દુકાનદારો સસ્તી કરિયાણાની દુકાનના ગ્રાહકો પાસેથી સસ્તા ભાવે મળતા રેશનના ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા હતા અને પછી રાશનનું અનાજ ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચતા હતા, જેના પર પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. બે સ્થળોએ દુકાનોમાંથી ગેરકાયદે રીતે સંગ્રહિત ઘઉં અને ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
અન્ય બે જગ્યાએ વેરહાઉસમાં અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, પરંતુ દુકાન માલિકને બોલાવવામાં આવતાં તેઓ ન આવતાં આખરે પુરવઠા વિભાગની ટીમે ગોદામોને સીલ મારી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી પુરવઠા વિભાગ દ્વારા અનાજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પાલનપુર વડગામ, દાતા અને ડીસા સહિત અલગ-અલગ આઠ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને ગેરકાયદે સંગ્રહ કરાયેલા અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે પુરવઠા વિભાગની કડકાઈથી અનાજ માફિયાઓમાં દોડધામ મચી ગઈ છે.