નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી (હિ.સ.) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં SBIનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો 35 ટકા ઘટીને રૂ. 9,164 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બેંકનો ચોખ્ખો નફો 14,205 કરોડ રૂપિયા હતો.
શનિવારે શેરબજારને આપેલી માહિતીમાં સ્ટેટ બેંકે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ધોરણે બેંકનો ચોખ્ખો નફો 35 ટકા ઘટીને 9,164 કરોડ રૂપિયા થઈ ગયો છે. જોકે, બેન્કે જણાવ્યું હતું કે તેની કુલ આવક ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં વધીને રૂ. 1,18,193 કરોડ થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 98,084 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન, બેંકની વ્યાજની આવક વધીને રૂ. 1,06,734 કરોડ થઈ હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 86,616 કરોડ હતી.
ડિસેમ્બર 2023 ના અંત સુધીમાં, બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) ઘટીને કુલ લોનના 2.42 ટકા થઈ ગઈ, જે ગયા વર્ષે 3.14 ટકા હતી. એ જ રીતે, ત્રીજા ક્વાર્ટરના અંતે, બેંકની નેટ એનપીએ પણ ઘટીને 0.64 ટકા થઈ ગઈ, જે ગયા વર્ષે 0.77 ટકા હતી. SBI ગ્રૂપનો કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ત્રીજા ક્વાર્ટરમાં 29 ટકા ઘટીને રૂ. 11,064 કરોડ થયો હતો જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 15,477 કરોડ હતો. જોકે, ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક વધીને રૂ. 1,53,072 કરોડ થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,27,219 કરોડ હતી.