સુરત સમાચાર: ગુજરાતમાં દર 5 વર્ષે દીપડાની ગણતરી થાય છે પરંતુ કોરોનાના કારણે દીપડાની ગણતરી થઈ શકી નથી. ત્યારે હવે સુરત જિલ્લામાં દીપડાની ગણતરી કરવામાં આવી રહી છે. આ માટે કુલ 131 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં વન વિભાગના 310 થી વધુ કર્મચારીઓ દીપડાઓની હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
સુરત, નવસારી અને તાપી જિલ્લામાંથી દીપડો જોવા મળ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2016માં કરવામાં આવી હતી. અને ત્યારબાદ કોરોનાની સ્થિતિ જોતા ગણતરી થઈ શકી ન હતી, પરંતુ હવે સુરત જિલ્લામાં દીપડાની ગણતરી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2016માં જ્યારે દીપડાઓની ગણતરી કરવામાં આવી ત્યારે દીપડાની સંખ્યા 40 નોંધાઈ હતી.
સુરત જિલ્લામાં દીપડાની ગણતરી માટે 131 પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે. જેના માટે વન વિભાગના 310 જેટલા કર્મચારીઓ ચોવીસ કલાક કાર્યરત છે. દીપડાની ગણતરી અંગે, સચિન ગુપ્તા, RFS, સામાજિક વનીકરણ વિભાગ, સુરતએ જણાવ્યું હતું કે વન વિભાગના કર્મચારીઓ દીપડાઓની ગણતરી માટે બે રીતે કામ કરી રહ્યા છે. દીપડાની ગણતરી પ્રત્યક્ષ આધારે અને બીજા પરોક્ષ પુરાવાના આધારે કરવામાં આવી છે.
પ્રત્યક્ષ પુરાવામાં દીપડાને જોવાનો અને તેને રાત્રિ દરમિયાન કેમેરામાં કેદ કરવાનો સમાવેશ થાય છે અને પરોક્ષ પુરાવામાં પગના નિશાનો અને લીધેલા શિકાર પરથી દીપડાની ગણતરીનો સમાવેશ થાય છે.