(જીએનએસ) 13
બિપરજોય વાવાઝોડાને લઈને તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં ચક્રવાત માટે રાજ્ય સરકારના મંત્રીઓ વ્યક્તિગત રીતે તમામ તૈયારીઓ કરી રહ્યા છે. જિલ્લાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક તંત્રની તૈયારીઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. ચક્રવાતની અસરની તમામ સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. દ્વારકા ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને હર્ષ સંઘવી સહિત જિલ્લાના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠક દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરવા સાથે અંતિમ તબક્કાની તૈયારીઓ અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જે મુજબ મંગળવાર અને બુધવારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દરિયા કિનારેથી 5 કિલોમીટરના અંતરમાં આવેલા 38 ગામો અને 10 કિલોમીટરના વિસ્તારમાં 44 ગામડાઓ સહિત 4000 ઘરો સહિત ઝાપટાવાળા ઝૂંપડા, કાચા મકાનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ માટે તંત્રએ ગત રાત્રિ સુધી કામગીરી કરી હતી. સાવચેત રહેવાની અપીલ સતત કરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં 2 NDRF અને 2 SDRAU ટીમો રાખવામાં આવી છે.