જામનગર-રાજકોટ રોડ આજે ફરી લોહીના ખાબોચિયા બની ગયો છે. ધ્રોલ નજીક ધ્રાંગડા ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ બાઇક અથડાતા ગામના યુવકનું કરૂણ મોત નિપજ્યું છે.
અકસ્માતની વિગત એવી છે કે, જામનગર નજીકના રણજીતપર ગામમાં રહેતા કેશુભાઈ પરસોત્તમભાઈ પરમાર નામના 45 વર્ષના યુવાન બાઇક પરથી બિયારણ લઈને પોતાના ગામ રણજીતપર જઈ રહ્યા હતા. દરમિયાન ધ્રાંગડા ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે માર્ક બતાવ્યા વગર ટ્રક રોડ પર ઉભી રાખી હતી. આ દરમિયાન બાઇક ટ્રક સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં કેશુભાઈ પરમારને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગર જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે રસ્તામાં જ મોત જાહેર કર્યું હતું. અકસ્માત સંદર્ભે જામનગરના ગુલાબનગરમાં રહેતા જગદીશભાઈ પરસોતમબાઈ પરમારે ધ્રોલ પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ધ્રોલ પોલીસે લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.