એસટી નગર વર્કશોપની બહાર કાર અને બસ વચ્ચે અકસ્માત થયો હતો.
નડિયાદમાં કાર ચાલકની બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાયો છે. એસટી નગર વર્કશોપની બહાર બસ વર્કશોપમાં પ્રવેશી રહી હતી ત્યારે સામેથી આવતી કાર બસ સાથે અથડાઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો.
નડિયાદમાં એસટી નગર વર્કશોપ બહાર બહાર રોડ પર રવિવારે મોડી રાત્રે બસ નંબર (GJ 18 Z 4617) વર્કશોપમાં આવી રહી હતી. વર્કશોપમાં પ્રવેશતી વખતે ગણપતિ ચોકડી બાજુથી આવતી કાર નંબર (GJ 01 HY 3658)ના ચાલકે ઉપરોક્ત બસને સીધી ટક્કર મારી હતી. જેના કારણે બંને વાહનોને નુકસાન થયું હતું. ઘટના બાદ આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. જોકે કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂની ત્રણ ખાલી બોટલો મળી આવી હતી. આ બનાવ અંગે ઉક્ત બસના ચાલક મગનભાઈ ભાથાભાઈ ડાભીએ કાર ચાલક સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે બસના ચાલક મગનભાઈ ડાભીએ જણાવ્યું હતું કે હું મારી બસ ડેપોથી વર્કશોપમાં જમા કરાવવા જતો હતો અને મારી બસને વર્કશોપ તરફ ડાયવર્ટ કરી હતી. દરમિયાન સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક દારૂના નશામાં હતો અને કાર છોડીને રિક્ષામાં બેસીને ભાગી ગયો હતો. કારમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી.