ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી. નુસરત હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા ઈઝરાયેલ ગઈ હતી.
અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે નુસરત ભરૂચા શનિવાર બપોરથી સંપર્ક વિહોણા હતા, જેના કારણે દરેક નુસરતની સુરક્ષાને લઈને ચિંતિત હતા. હવે લેટેસ્ટ અપડેટ આવ્યું છે કે તે ઠીક છે.
નુસરત ભરૂચાની ટીમ મેમ્બર સંચિતા ત્રિવેદીએ લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું હતું કે, આખરે અમે અભિનેત્રી નુસરત ભરૂચાનો સંપર્ક કરવામાં સફળ થયા અને દૂતાવાસની મદદથી તેને સુરક્ષિત ઘરે પરત લાવવામાં આવી રહી છે. તે સુરક્ષિત છે અને ભારત આવી રહી છે.
અભિનેત્રીની ટીમે જણાવ્યું કે, તેને ડાયરેક્ટ ફ્લાઈટ નથી મળી તેથી તે કનેક્ટિંગ ફ્લાઈટ દ્વારા ઘરે આવી રહી છે. તેણીની વધુ સલામતી માટે, વધુ વિગતો શેર કરી શકાતી નથી, પરંતુ તેણી ભારત પહોંચશે કે તરત જ અમે તમને જાણ કરીશું.
નુસરત ભરૂચાની ટીમે એક નિવેદનમાં કહ્યું કે, “અમે રાહત અનુભવીએ છીએ અને ભગવાનનો આભાર માનીએ છીએ કે તે સુરક્ષિત છે અને ભારત આવી રહી છે.”
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં નુસરત ભરૂચાના ગુમ થવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે પૂર્ણ સ્તરે યુદ્ધ છેડાયું હતું. જો કે, તે હવે ઠીક છે તે જાણીને તેના ચાહકોને ખુશી થશે.
નુસરત ભરૂચા છેલ્લે ફિલ્મ અકેલીમાં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.
પ્રણય મેશ્રામ દ્વારા દિગ્દર્શિત, થ્રિલર ડ્રામા ફિલ્મમાં નુસરત ભરૂચા, નિશાંત દહિયા, રાજેશ જૈસ, ત્સાહી હલેવી અને અમીર બુટ્રોસ છે.
નુસરત ભરૂચાએ જોયતી તરીકે અભિનય કર્યો, એક ‘સામાન્ય ભારતીય છોકરી’ જે યુદ્ધના ક્ષેત્રમાં ફસાયેલી છે અને તેણે પોતાના જીવન માટે લડવું પડે છે, આ ફિલ્મ આ વર્ષે 25 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ છે.
નુસરત હવે પછી હોરર ફિલ્મ ‘છોરી 2’માં જોવા મળશે, જે 2021માં રિલીઝ થયેલી આ જ નામની ફિલ્મની સિક્વલ છે.