જેલમાં બંધ કાર્યકર્તા નરગીસ મોહમ્મદીને ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામેની લડાઈ માટે આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. નોબેલ સમિતિના અધ્યક્ષ બેરીટ રીસ-એન્ડરસને શુક્રવારે ઓસ્લોમાં પુરસ્કારની જાહેરાત કરી હતી. પુરસ્કારની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે નરગીસ મોહમ્મદીનું આંદોલન ચાલુ રહે અને તેને તેના માટે પ્રોત્સાહન મળતું રહે. નોબેલ કમિટીએ ઈરાનમાં મહિલાઓના દમન સામેની લડાઈ અને માનવાધિકાર માટેની તેમની લડાઈ માટે 2023 માટે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરી છે.
31 વર્ષની જેલની સજા
એવોર્ડની જાહેરાત કરતા બેરીટ રીસ-એન્ડરસને જણાવ્યું હતું કે નરગીસ મોહમ્મદીને 13 વખત જેલ કરવામાં આવી હતી અને પાંચ વખત દોષિત ઠેરવવામાં આવી હતી.તેમને કુલ 31 વર્ષની જેલની સજા થઈ હતી અને તે હજુ પણ જેલમાં છે. નરગીસ મોહમ્મદીએ મહિલાઓના અધિકારો માટે આંદોલન શરૂ કર્યું. તેમનું આંદોલન દેશવ્યાપી બન્યું અને સરકાર હચમચી ગઈ. આંદોલનકારીઓએ મહિલા – જીવન – સ્વતંત્રતાના મૂળ મંત્ર સાથે તેમનું આંદોલન શરૂ કર્યું.