ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાને અક્ષરધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી
(GNS),તા.11
ગાંધીનગર,
ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરની ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન શ્રી વિન્સ્ટન પીટર્સે મુલાકાત લીધી હતી. ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન શ્રી વિન્સ્ટન પીટર્સ ગાંધીનગર અને અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. ન્યુઝીલેન્ડના વડાપ્રધાને આજે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. અક્ષરધામ મંદિરના આદરણીય વિશ્વવિહારી સ્વામી (કોઠારી સ્વામીજી)એ તેમને હાર પહેરાવીને આવકાર્યા હતા. અને અક્ષરધામ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર મનીષ પટેલ અને જાગૃત પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાને અક્ષરધામ મંદિરના મોડેલ રૂમની મુલાકાત લીધી હતી અને સમગ્ર સમુદાયનો વિશેષ પરિચય મેળવ્યો હતો. તેમજ અક્ષરધામ મંદિર અને આ સંસ્થાના વિવિધ કાર્યોની માહિતી તેમને અક્ષરધામ મંદિરના મનીષ મિસ્ત્રીએ આપી હતી. ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન શ્રી પીટરે પણ નીલકંઠ વર્ણી અભિષેક પેવેલિયનની મુલાકાત લીધી હતી. અક્ષરધામ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ દર્શન પણ કર્યા હતા. તેમણે સમગ્ર સંકુલ તેમજ બગીચાની મુલાકાત લીધી હતી.