પાટણ શહેરના વિવિધ સોસાયટી વિસ્તારો તેમજ કેટલાક મહોલ્લાઓમાં ઓછી વીજળી અને દૂષિત પાણીની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે શહેરના મીરા દરવાજા રોડ પર આવેલી ભોલેનાથ સોસાયટીના રહીશો જેઓ લાંબા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગુરુવારે પાલિકામાં મહિલાઓ સાથે મળીને પાલિકા પ્રમુખ સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ મુદ્દે રોષ વ્યકત કરતાં ભોલેનાથ સોસાયટીમાં રહેતા ભરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે મત માંગવા વિસ્તારના કાઉન્સિલરો સમક્ષ આ મુદ્દો અનેકવાર રજુ કરવા છતાં આજદિન સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આવી સ્થિતિમાં નગરજનો ચિંતામાં મુકાયા છે. જો એક સપ્તાહમાં ભોલેનાથ સોસાયટીમાં પાણી અને રસ્તાની સુવિધા બાબતે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીડિયા રોડ થઈને પાલિકામાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આ વિસ્તારના રહીશોએ ઉચ્ચારી હતી.ભોલેનાથ સોસાયટીના રહીશોના આવેદનપત્ર પછી પાલિકા ચેરમેને જણાવ્યું હતું કે, આ સોસાયટી જૂની હોવાથી પાણીની પાઈપલાઈન ખૂબ જ સાંકડી છે, જેના કારણે રહીશોને પુરતી મજબુતી સાથે પાણી મળી શકતું નથી. ત્યારે રહીશોને તેમની સોસાયટી વિસ્તારમાં નવી પાઈપલાઈન નાખવા સરકારની 70/30 યોજનાનો લાભ લેવા સમજાવવામાં આવ્યા હતા. તો સોસાયટીમાં બાકી રહેલા રસ્તાઓ માટે પણ રહીશોને વચન આપ્યું હતું.