છેલ્લા બે વર્ષમાં કેનાલ સુધારણાનો કુલ ખર્ચ રૂ. 5243.01 લાખના કામો મંજૂર
(GNS),તા.21
ગાંધીનગર,
કાકરાપાર યોજનાને કારણે સુરત જિલ્લાના પાણીની અછતવાળા વિસ્તારોમાં પણ સિંચાઈનું પાણી પહોંચ્યું છે. આ યોજનાની મદદથી વધુને વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહે તે માટે નહેરો સુધારણાના કામોને મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં કેનાલ સુધારણાનો કુલ ખર્ચ રૂ. 5243.01 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે. કેનાલ સુધારણાના તમામ મંજૂર કામો જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, એમ જળ સંસાધન રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.
કેનાલ સુધારણાના કામોને કારણે સુરત જિલ્લામાં 16,096 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. અગાઉ ખેડૂતો 3 હજાર હેક્ટરમાં ડાંગરની ખેતી કરતા હતા.કાકરાપાર કેનાલની ક્ષમતામાં 3,650 ક્યુસેકનો વધારો થતાં ખેડૂતો 18 હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરી રહ્યા છે.જેના કારણે આજે ખેડૂતો 200 કરોડની કિંમતના ડાંગરની ખેતી કરી રહ્યા છે. તેમ પુરકના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું.