પાલનપુર તાલુકાના જગાણા ટાકરવાડા રોડ પર પીકઅપ પલટી જતાં 5 પશુઓના મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પીકઅપ ટ્રકમાં 11 પશુઓ ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. દરમિયાન અકસ્માતે પીકઅપ પલટી જતાં 5 પશુઓના મોત થયા હતા. અકસ્માત બાદ પીકઅપ ચાલક નાસી ગયો હતો. ત્યારે સમગ્ર ઘટના બાદ પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર જગાણા ટાકરવાડા રોડ પર પશુઓ ભરેલી પીકઅપ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પાંચ પશુઓના મોત થયા છે. ડાલાનો ચાલક 11 ઢોર લઈને પાલનપુર તરફ ઝડપથી જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેણે કાબુ ગુમાવી દીધો અને પલટી ખાઈ ગઈ, જેના કારણે ડાલામાં હાજર 11 પશુઓમાંથી પાંચના મોત થયા. ડાલુ રોડ પર પીકઅપ પલટી જતા નજીકમાં ઉભેલા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ ડાલા ચાલક પીકઅપ ડાલુ મુકી સ્થળ પરથી ભાગી ગયો હતો. સ્થાનિક લોકો અને પ્રાણીપ્રેમીઓએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પશુઓને કતલખાને લઈ જવા અંગે ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પશુ દયા પ્રેમીઓએ પાંજરાપોળમાં છ પશુઓને જીવતા રાખ્યા હતા.