દેશભરમાં અનેક લોકો સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કાર્ય કરે છે. જેમાં ગરીબ લાચાર લોકો તેમજ પશુ-પક્ષીઓની સેવા કરવામાં આવે છે. યાત્રાધામ અંબાજીમાં પણ સેવાભાવી સંસ્થાઓ ગરીબ અને લાચાર લોકોને મદદ કરે છે. ઘણી સંસ્થાઓ પશુ-પક્ષીઓ માટે પણ સેવાઓ આપે છે. યાત્રાધામ અંબાજીમાં બંસી ગૌ સેવા સંસ્થા અને શ્રી ગોરી ગૌ સેવા કેન્દ્ર કાર્યરત છે, જે ગાયોની સેવા કરે છે. આ સંસ્થાઓ અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં ગાયોની સંભાળ અને સારવાર પૂરી પાડે છે. ત્યારે બંસી ગૌસેવા સંસ્થા દ્વારા અંબાજીની ગાયો માટે લીલા ચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અંબાજીના વિવિધ વિસ્તારોમાં જઈને ગાયોને લીલો ચારો ખવડાવવામાં આવ્યો હતો. આ સેવા અભિયાનમાં અંબાજીના પીઆઈ ધવલ પટેલ અને પોલીસકર્મીઓ અને અંબાજીના લોકોએ પણ ભાગ લીધો હતો. અંબાજી બજારોમાં રખડતી ગાયો મોટાભાગે કચરો અને પ્લાસ્ટિક ખાય છે. જેના કારણે ગાયના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર થાય છે. તે જોતા શ્રી બંસી ગૌ સેવા સંસ્થા દ્વારા અંબાજીમાં રહેતી ગાયોને લીલો ચારો આપવામાં આવ્યો હતો.