ભાવનગર.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહની ભાવનગર પોલીસે ડમી કેસમાં ધરપકડ કરી છે. જે બાદ યુવરાજ સિંહના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આજે રિમાન્ડની મુદ્દત પુરી થતા યુવરાજસિંહ જાડેજાને કેસની તપાસ કરતી SIT દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટે વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ભાવનગર પોલીસે વ્હિસલ બ્લોઅર અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની 21 એપ્રિલે મોડી રાત્રે ધરપકડ કરી હતી. યુવરાજસિંહ જાડેજા પર ડમી કેસના આરોપીઓ પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. પોલીસે આરોપી યુવરાજસિંહ જાડેજા અને તેના સાળા કનુભા ગોહિલ, શિવુભા, ઘનશ્યામભાઈ, બિપિન ત્રિવેદી અને રાજુ સામે આઈપીસી કલમ 386, 388 અને 120-બી હેઠળ ગુનો નોંધ્યો છે.
આ કેસમાં યુવરાજ સિંહને 22 એપ્રિલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા યુવરાજસિંહના બંને સાળાની પણ ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં તેમની પાસેથી ખંડણીની રકમ પણ મળી આવી છે.