ભાવનગર જિલ્લામાં કથિત નકલી રેશનકાર્ડ કૌભાંડ સંદર્ભે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી બાદ હાઇકોર્ટે ભાવનગર કલેક્ટર, એસપી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકને નોટિસ પાઠવી તેમજ સરકારને જવાબ દાખલ કરવા આદેશ કર્યો છે. પીઆઈએલમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ કૌભાંડમાં એક જ વ્યક્તિ અથવા પરિવારના નામે બે રેશનકાર્ડ બનાવવામાં આવ્યા હતા.
આ સાથે રેશનકાર્ડ પણ અસ્તિત્વમાં ન હોય તેવા વ્યક્તિના નામે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પરિવારમાં ન હોય તેવા વ્યક્તિનું પણ રેશનકાર્ડમાં નામ ઉમેરીને છેતરપિંડી કરીને સરકારી લાભો મેળવવામાં આવ્યા છે. આવી વ્યક્તિઓ સાથે આ કૌભાંડમાં વિક્રેતાઓ અને દુકાન માલિકો અને સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. આ રીતે કરોડોનું મોટું કૌભાંડ થઈ રહ્યું છે.
જેમાં પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સ્કીમ (PDS) હેઠળ ગરીબો માટેના અનાજનો રેશનશોપના માલિકો દ્વારા ખોટી રીતે સ્ટોક કરીને ખુલ્લા બજારમાં મોકલવામાં આવી રહ્યો છે. 20/6/2023 ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં PIL પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અરજદારના વકીલ પ્રશાંત ચાવડાએ હાઇકોર્ટ સમક્ષ દસ્તાવેજી પુરાવા રજૂ કરી ડુપ્લીકેટ રેશનકાર્ડ દ્વારા આચરવામાં આવતા કૌભાંડ અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું.
દલીલો અને પુરાવાઓને ધ્યાને લીધા બાદ ચીફ જસ્ટિસે ભાવનગર કલેક્ટર, એસપી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગર, ભાવનગર અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.