ભિલોડાના સુણસર ગામથી ખાપ્રેટા સુધીનો રસ્તો આઝાદી બાદ ક્યારેય બન્યો નથી. રોડ બાબતે ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરી હતી, જેથી તંત્રએ રસ્તો મંજૂર કર્યો છે. જો કે તંત્ર દ્વારા આ રોડને મંજુરી આપવામાં આવી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 500 મીટર જેટલો રોડ છોડીને ખાપરેટા તરફનો ડામર રોડ શરૂ કરી દીધો છે. તો પછી સુણસર ગામનો મુખ્ય 500 મીટરનો રોડ હજુ સુધી કેમ બનાવવામાં આવ્યો નથી, આ પ્રશ્ન ગ્રામજનોને સતાવી રહ્યો છે.આ ખોવાયેલો 500 મીટરનો રસ્તો ગ્રામજનો શોધી રહ્યા છે. આજે ગ્રામજનોએ રોડને લઈને વિરોધ કર્યો હતો અને પાકા રોડની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પાકા રસ્તાના કારણે ગામમાં કાદવનું પ્રમાણ વધ્યું છે. રાહદારીઓ અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ તંત્રને જગાડવા અને ખોવાયેલો રસ્તો શોધવાનો પ્લાન બનાવ્યો હતો.