રાજકોટ: (રાજકોટ) રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને શનિવારે રાત્રે જામનગરના પસાયા બેરાજા ખાતે ગ્રામ ચલો અભિયાન કાર્યક્રમમાં ભાગ લેતી વખતે અચાનક બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જ્યારે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
તેઓ જ્યાં સારવાર લઈ રહ્યા છે તે ખાનગી હોસ્પિટલમાંથી તેમના હેલ્થ બુલેટિન જણાવે છે કે તેમને વહેલી સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ રાઘવજી પટેલની તબિયત સ્થિર છે. રાઘવજીનું બીપી અને ડાયાબિટીસ નિયંત્રણમાં છે. રાઘવજી પટેલને રાત્રે બ્રેઈન સ્ટ્રોક આવતાં તાત્કાલિક જામનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેને તમામ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વહેલી સવારે 3 વાગ્યે વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ન્યુરોલોજીસ્ટની ટીમ દ્વારા ICUમાં રાખવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવતા હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. રાઘવજી પટેલની હાલત જાણવા માટે ભાજપના અનેક નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાઘવજી પટેલને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવે તેવી શક્યતા છે. મુંબઈની 3 હોસ્પિટલનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. જો કે તેમની તબિયતમાં સુધારો થતાં તેમને રાજકોટમાં જ સારવાર આપવામાં આવે તેવી શક્યતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટની સિનર્જી હોસ્પિટલના તબીબ ડો.જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે રાઘવજી પટેલનું સીટી સ્કેન સવારે કરવામાં આવ્યું હતું. સીટી સ્કેનથી તેની તબિયતને વધુ નુકસાન થયું ન હતું. રાઘવજી પટેલને આગામી બે-ત્રણ દિવસ ડોકટરોની દેખરેખ હેઠળ ICUમાં રાખવામાં આવે તેવી શક્યતા છે.