મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવી છે. હવે રાજ્યમાં મુખ્યપ્રધાનના ચહેરાને લઈને મંથન ચાલી રહ્યું છે. તેની વચ્ચે મુખ્યપ્રધાન શિવરાજસિંહનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે. તેમને કહ્યું કે હું મુખ્યપ્રધાન પદનો દાવેદાર નહતો અને ના છું. મુખ્યપ્રધાન શિવરાજ સિંહે કહ્યું કે હું એક કાર્યકર્તા છુ, તે મુજબ ભાજપ મને જે પણ કામ આપશે, તે કામ ખુબ જ ઈમાનદારીથઈ કરીશ. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230 સીટમાંથી 163 સીટ પર જીત મેળવી છે. ત્યારે કોંગ્રેસે માત્ર 66 સીટ પર જીત મેળવી છે.. સમાચાર એજન્સીને સીએમ શિવરાજસિંહે જણાવીને કહ્યું કે,”મોદીજી અમારા નેતા છે, તેમની સાથે કામ કરવુ સૌભાગ્યની વાત છે. ખુબ જ સારી વાત છે કે હું ભાજપનો કાર્યકર્તા છુ, હું જનતાનો દિલથી આભાર માનુ છુ, મારામાં જેટલુ સામર્થ હતુ, તેટલુ મેં કામ કર્યુ. જણાવી દઈએ કે આ ચૂંટણીમાં સીએમ શિવરાજસિંહ ભાજપની જીતના હિરો રહ્યા છે.
64 વર્ષીય શિવરાજ સિંહે રાજ્યમાં સત્તા વિરોધી લહેરને માત આપીને ફરી એકવાર શાનદાર જીત મેળવી છે. ભાજપની આ જીતની પાછળ સૌથી વધારે ચર્ચા ‘લાડલી બહેના’ જેવી યોજનાની છે. જે ગેમ ચેન્જર માનવામાં આવે છે. જો કે પાર્ટીએ ચૂંટણી પહેલા જ તેમને મુખ્યપ્રધાનના ચહેરા તરીકે રજૂ કર્યા નથી.. ખેડૂત પરિવારમાં જન્મેલા શિવરાજસિંહ ચૌહાણે સૌથી લાંબા સમય એટલે કે 16 વર્ષ 9 મહિના સુધી સતત મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન પદ પર રહેવાનો ઈતિહાસ રચ્યો છે. તે 4 વખત રાજ્યના મુખ્યપ્રધાન બન્યા છે અને હવે ફરી એકવાર તે રાજ્યની કમાન સંભાળી શકે છે. મુખ્યપ્રધાનના દાવેદારોના લિસ્ટમાં શિવરાજનું નામ ટોપ પર છે. શિવરાજ સિંહ ચૌહાણ 29 નવેમ્બર 2005માં પ્રથમ વખત મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા. શિવરાજસિંહના નેતૃત્વમાં ભાજપે વર્ષ 2008 અને 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે સરકાર બનાવી હતી. ત્યારબાદ વર્ષ 2018ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને મુખ્યપ્રધાન પદ માટે પસંદ કર્યા પણ આ વખતની ચૂંટણીમાં પાર્ટીએ આ થિયરી અપનાવી નથી.