ઉંચી કિંમત આપવાના બહાને એક વર્ષ પહેલા નડિયાદના એક ખેડૂત પાસેથી ખરીદી કરી હતી.
(પ્રતિનિધિ) મહુધા તા.11
એક વર્ષ પહેલા મહુધાના મંગલપુરમાં રહેતા એક વ્યક્તિએ નડિયાદના ખેડૂત પાસેથી ઉંચી કિંમત આપવાના બહાને રૂ.33.34 લાખની કિંમતની 1443 મણ તમાકુની ખરીદી કરી હતી. જોકે, એક વર્ષ વીતી જવા છતાં વેપારીએ પૈસા ચૂકવ્યા ન હતા. આખરે છેતરપિંડીનો અહેસાસ થતાં ખેડૂતે મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદના વાણીયાવાડમાં સમરથ સોસાયટીમાં રહેતા મેહુલ કનુભાઈ પટેલ ખેડૂત છે. તેમની વડીલોપાર્જિત જમીન મહુધા તાલુકાના મંગલપુર સીમ વિસ્તારમાં આવેલી છે. ગયા વર્ષે મેહુલે તેની જમીનમાં તમાકુની ખેતી કરી હતી. તમાકુનો પાક વેચવા માંગતા તેણે જયદીપ ટ્રેડર્સ (બકી તાડિયા વિસ્તાર, લેકસાઇડ, મંગલપુર)ના તેના પરિચિત દિનેશ ચીમનભાઈ પરમાર સાથે વાત કરી હતી. આ દિનેશભાઈ પોતે તમાકુ વેચવાનો ધંધો કરતા હતા, તેમણે આ તમાકુ ખરીદ્યું હતું.
મેહુલને તેની તમાકુની ઊંચી કિંમત મળવાની અપેક્ષા હતી, જે તેણે 2,311 રૂપિયા પ્રતિ મણ નક્કી કરી હતી અને 20 મે 2023ના રોજ દિનેશભાઈને કુલ 1443 મણ તમાકુ કુલ રૂપિયા 33 લાખ 34 હજાર 773માં વેચી હતી. ત્યારે તે જ દિનેશભાઈએ મેહુલભાઈને વિશ્વાસમાં લઈ તમાકુનો જથ્થો પાછળથી મોકલી આપીશ તેમ જણાવ્યું હતું.
જોકે, ઘણા સમયથી મેહુલભાઈને તમાકુના વેચાણના પૈસા ન મળતાં તેમણે વારંવાર દિનેશભાઈ પરમારનો સંપર્ક કર્યો હતો. પરંતુ દિનેશભાઈ ગલ્લા બહાના બનાવીને નાસતા ફરતા હતા. 11 માસ બાદ પણ મેહુલભાઈને તમાકુના વેચાણના આપેલા પૈસા ન મળતાં તેમણે દિનેશ ચીમનભાઈ પરમાર વિરુદ્ધ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.