ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ મિશન ચંદ્રયાન-3 ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3, 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ થશે. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા માટે ઉડાન ભરશે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે. આ પહેલા મીડિયા રિપોર્ટ અનુસાર લોન્ચની તારીખ 12થી 19 જુલાઈ વચ્ચે જણાવવામાં આવી રહી હતી.
ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 બાદ ભારતનું આ ત્રીજું ચંદ્ર માટેનું મિશન છે. ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટને નવા પ્રક્ષેપણ રોકેટ એલવીએમ-3 સાથે જોડવામાં આવ્યું છે. ઈસરોના વૈજ્ઞાનિકો એ 5 જુલાઈના દિવસે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં આ કામ પૂરુ કર્યું હતું. હવે ચંદ્રયાન-3 લોન્ચિ સ્થળથી લોન્ચ માટે તૈયાર છે. ચંદ્રયાન-3 મિશનના 3 મુખ્ય ઉદ્દેશ્યો છે કે ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિગ કરવું, રોવરને ચંદ્ર પર ભ્રમણ કરાવવું અને ચંદ્રને લઈને વૈજ્ઞાનિકોના મહત્વના પ્રયોગો સફળ બનાવવા.
ચંદ્રયાન-3 ત્રણ ભાગમાં તૈયાર થયુ જેમાં પહેલા ભાગની વાત કરીએ તો, પ્રોપલ્શન મોડ્યુલ: સ્પેસ મિશન પર જતા સ્પેસક્રાફટના પહેલા ભાગને પ્રોપલ્શન મોડ્યુલ કહેવામાં આવે છે. તે કોઈપણ સ્પેસક્રાફટને ઉડવાની શક્તિ આપે છે. બીજા ભાગની વાત કરીએ તો, લેન્ડર મોડ્યુલ: આ ચંદ્રયાન-3નો બીજો અને મહત્વપૂર્ણ ભાગ છે. આ જ ચંદ્ર પર ઉતરાણ કરવામાં આવશે. તે રોવરને યોગ્ય રીતે ચંદ્રની સપાટી પર લાવવા માટે જવાબદાર છે. ત્રીજા ભાગની વાત કરીએ તો, રોવરઃ આ ચંદ્રયાનનો ત્રીજો ભાગ છે, રોવર, જે લેન્ડર દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરશે અને પછી માહિતી એકત્રિત કરશે અને હલનચલન કર્યા પછી તેને પૃથ્વી પર મોકલશે.