સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તાજપુર કેમ્પ ગામનો વતની અજય નલિયા અન્ય બે સાથીદારો સાથે પોતાની કારમાં પૂરપાટ ઝડપે હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે શામળાજીના સુણોઠ પાસે સ્પીડ વધુ હોવાથી કાર ચાલક અજય નલિયાએ કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બે-ત્રણ વખત પલટી મારી રોડની બીજી બાજુના ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેના કારણે કાર ચાલક અજય નલ્દીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય સાથીદાર ઉમેશ નલડિયા અને અન્ય એકને ઈજા થઈ હતી.
સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટીંટોઇ પોલીસને જાણ કરી હતી. ટીંટોઇ પોલીસે આવીને મૃતક કાર ચાલક અજય નલડીયાની લાશને બહાર કાઢી પીએમ અર્થે રાખી હતી અને માતા-પિતાને જાણ કરી હતી. તેમજ પોલીસ આવે તે પહેલા જ મદદ માટે આવેલા લોકોએ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમગ્ર બનાવ અંગે ઇજાગ્રસ્ત ફરિયાદી ઉમેશ નલિયાની ફરિયાદના આધારે ટીંટોઇ પોલીસે મૃતક આરોપી અજય નલિયા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.